વાંચીને વિચારવાનું તમારે
મોટે ભાગે ધોરણ 10 પછી બાળકોને કયો પ્રવાહ લેવો અને કઈ સારી શાળામાં દાખલ કરવું એ બાબતે બધા વાલીઓ ખૂબ ચિંતામાં હોય છે. અહીં મેં વાલીઓ ચિંતામાં હોય છે, એવું એટલા માટે લખ્યું છે કારણ કે - બાળકને સાયન્સ - કે - સામાન્ય પ્રવાહ કરાવવો તે નક્કી વાલીઓ કરે છે . બાળકને પૂછતાં જ નથી. એટલે વાલી પોતાના પડોશી કે મિત્રોના બાળકો જેમાં એડમિશન લે તેમાં પોતાના બાળકને મૂકી દે છે. બાળકની ક્ષમતા જોયા વગર - કે - બાળકને ભવિષ્યમાં શું બનાવવું છે તેના વિઝન વગર-
હા, ભવિષ્યના વિઝન વગર બાળકને સાયન્સ -આર્ટસ કે કોમર્સ કરાવવું તે બાળકના ભવિષ્ય માટે જોખમી છે.
સાયન્સ - જો તમારે ધોરણ 10માં આખા વર્ષ દરમિયાન તમારા બાળકને વાંચવા બાબતે કંઈ પણ કહેવું ન પડ્યું હોય, તમારૂ બાળક ટોક્યા વગર જાતે જ મહેનત કરતું હોય અને ૮૮ ટકાથી વધુ ધોરણ-10માં લાવે તો અને તો જ તેને સાયન્સમાં બી ગ્રુપ સાથે ભણાવવું જોઈએ. અન્યથા નહીં. જો કદાચ તમારા બાળકને ટકા ૮૦ થી ઉપર હોય પરંતુ ગણિત-વિજ્ઞાન માં 90 થી ઉપર ગુણ લાવે અને જો એન્જિનિયરિંગમાં રસ હોય તો જ એ ગ્રુપ સાથે સાયન્સ લેવું. યાદ રાખો - એન્જિનિયરિંગમાં કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરવાની તૈયારી હોય, ઘર છોડીને દૂર મોટા શહેરોમાં જવાની તૈયારી હોય, તો જ એ ગ્રુપ સાથે સાયન્સ કરવું. સરકારી નોકરી ની અપેક્ષા રાખવી નહીં. પણ બને છે એવું- કે મોટાભાગના બાળકો એન્જિનિયરિંગ પૂરું કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ કરે છે. આ તો ખરેખર એન્જિનિયરિંગની ખતરનાક મજાક છે. જો સ્પર્ધાત્મક પરીક્ષા જ આપવી હોય તો એન્જિનિયરિંગ કરવાનો શું મતલબ ? ખોટા ફીના પૈસા શું કામ બગાડવાના?
કોમર્સ - જો વાલી તરીકે તમે તમારા બાળકને કોર્પોરેટ દુનિયામાં - શહેરોના હિસાબો ની દુનિયા માં મોકલવા માંગતા હોય અને સરકારી નોકરી ની અપેક્ષા ન હોય " તો અને તો જ " ધોરણ 11 માં કોમર્સ કરાવવું જોઈએ. યાદ રાખો - કોમર્સ કર્યા પછી તરત જ ઇડર - હિંમતનગર છોડીને મોટા શહેરોમાં પડાવ નાખશો, તો જ સારી કારકિર્દી બનશે. બાકી બી.કોમ. કરીને બી. એડ. કર્યા પછી સરકારી ભરતી થતી નથી અને પ્રાઇવેટ માં આખી જિંદગી પાંચ- સાત હજારથી વધુ મળશે નહીં.
આર્ટસ- જે વાલીઓ પોતાના બાળક માટે નાની-મોટી સરકારી નોકરી ના સપના જુએ છે, તેમના માટે ધોરણ 11માં આર્ટ્સમાં એડમિશન લેવું વધુ હિતાવહ છે. એવું ક્યારેય ન વિચારતા કે ધોરણ 10 માં ઓછા ટકા આવે તો જ આર્ટસ કરાય, યાદ રાખો -કોઈપણ ફેકલ્ટીમાં તમે આગળ રહો તો જ તમારો નંબર લાગશે. ધોરણ 10માં 85 ટકાવાળો વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સમાં 65 ટકા લાવીને મધ્યમ રહે, એના કરતા ધોરણ 12માં આર્ટ્સમાં ૯૩ ટકા લાવીને બોર્ડ માં ટોપ પર રહી શકે. સાયન્સમાં વચ્ચે કે પાછળ રહેવા કરતા આર્ટસમાં આગળ રહેનાર વધુ ફાવી જાય છે એવા કેટલાય દાખલા અમારી પાસે છે.
હવે વાત કરીએ જીપીએસસી કે બીજી સરકારી નોકરીની. તો આ પરિક્ષાઓમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. બીએસસી /બીકોમ /બી એ/ કે એન્જિનિયર- કોઇપણ પરીક્ષા આપી શકે. આ બધા ગ્રેજ્યુએટ માંથી બી. એ. સિવાયના ગ્રેજ્યુએટ પોતાના કોર્સના વિષયોમાંથી નવરા પડતાં નથી. તેથી તેઓ અભ્યાસ દરમિયાન વધારાની તૈયારી કરી શકતા નથી. અને તેઓ જે વિષયો કોલેજમાં ભણે છે- તે વિષયો મોટાભાગે જી.પી.એસ.સી ની પરીક્ષા માં ઉપયોગી નીવડતા નથી. કોલેજના વિષયોનો ફાયદો ફક્ત બી.એ. વાળા વિદ્યાર્થીને જ થાય છે. ધોરણ 11- 12 માં આર્ટસ ના વિષયો ભણ્યો હોય છે. જીપીએસસીમાં ગુજરાતી -ઇતિહાસ- રાજ્યશાસ્ત્ર -ભૂગોળ -અંગ્રેજી- સામાન્ય ગણિત -વાણિજ્ય વ્યવસ્થા -મેનેજમેન્ટ - તર્ક બુદ્ધિ -હિન્દી -સંસ્કૃત -સાહિત્ય - જનરલ નોલેજ વગેરે જેવા વિષયો પર પ્રશ્નો પૂછાતા હોય છે. જો વિદ્યાર્થી ધોરણ 11 - 12 આર્ટસ માં યોગ્ય વિષયોની પસંદગી કરે, તો જીપીએસસીના આ બધા વિષયોમાંથી મોટાભાગના વિષયો કવર થઈ જતા હોય છે. માટે જો વિદ્યાર્થી ધોરણ 11 12 આર્ટ્સ ગુજરાતી- અંગ્રેજી -વાણિજ્ય વ્યવસ્થા -ભૂગોળ- રાજ્યશાસ્ત્ર- સંસ્કૃત જેવા વિષયો રાખીને કરે તો તેના જ્ઞાનમાં સૌથી વધુ વધારો ધોરણ 11 થી જ થઈ શકે.
તે જે વિષયો ભણે છે, તે જ વિષયોનું આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પુછાય છે. બીજું ખાસ કે - સાયન્સમાં અંગ્રેજી વિદ્યાર્થીઓ ભણતા નથી. તેથી અંગ્રેજી કાચું રહે છે. જ્યારે આર્ટ્સમાં અંગ્રેજીને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. તેથી આર્ટસ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં પણ જબરદસ્ત ફાયદો થાય છે. એટલે આ બાબતો પર ઊંડાણથી વિચાર કરીએ, તો આર્ટસ નો વિદ્યાર્થી gpsc કે તલાટી - પોસ્ટ - સચિવાલય- બિન સચિવાલય- રેલવે - કોર્ટ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને પોતાની સરકારી નોકરીની ઈચ્છા પૂર્ણ કરી શકે છે.
માટે, રાજ્યશાસ્ત્ર/ તત્વજ્ઞાન/ ભૂગોળ/ અને વાણિજ્ય વ્યવસ્થા/ જેવા વિષયો જે સંસ્થાઓ ભણાવતી હોય તેવી સંસ્થામાં એડમિશન લઈને ધોરણ-11ના પ્રથમ દિવસથી જ જીપીએસસીની પરીક્ષા માટે બાંયો ચડાવી દેવી જોઈએ.
વાલીઓને તેમના બાળકોની કારકિર્દી માટે !બેસ્ટ ઓફ લક.!
Jagdish I Patel
D.chem.Eng; M.A.Bed. CIC
GPSC Class 2 principal Exam pass;
TAT, HSTAT, HMAT Exam pass;
14,shubh city,Idar- 9428752528