Main menu

234

123

Essay on Corruption, nibandh- bhrashtachar, નિબંધ - ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર


લાચારીથી કરાતા પાપોથી છૂટી શકાય છે. પણ લાલચથી કરાતા પાપથી છૂટવું બહુ અઘરું છે.

મિત્રો હીરાને ખતરો પથ્થરથી નથી, પણ નકલી હીરાથી છે. એમ ધર્મને ખતરો નાસ્તિકથી નથી, પણ ઢોંગી ધર્મગુરૂઓથી છે. એવી જ રીતે આ દેશને ખતરો પાકિસ્તાનનો નથી, પણ અંદરના ભ્રષ્ટાચારીઓનો છે.

હા, ભ્રષ્ટાચાર માટે ખતરનાક શબ્દથી ભારે શબ્દ બીજો કયો હોઇ શકે? ભ્રષ્ટાચાર એ આપણા દેશ માટે ખતરો છે. કેટલીકવાર તો એમ થાય છે કે કાશ !  આવી સ્વતંત્રતા કરતાં અંગ્રેજોનું રાજ સારું હતું. તેઓ પોતાના દેશ ઇંગ્લેન્ડને તો વફાદાર હતા ! આપણા દેશમાંથી કેટલુય લૂંટી ગયા પણ એમણે કશુંયે પોતાના ઘર ભેગું તો નહોતું કર્યું. પોતાના દેશને સોંપી દીધું હતું. એટલે એ અંગ્રેજ લૂંટારાઓની સરખામણીમાં આપણા દેશના અંદરના ભ્રષ્ટાચારી લૂંટારાઓ વધારે ખરાબ છે. એટલે એનો મતલબ એમ કે આજે અંગ્રેજોના ગુરુઓનું રાજ ચાલે છે.

મિત્રો, ભ્રષ્ટાચાર ક્યાં નથી? સરકારી કચેરીઓ તો ભ્રષ્ટાચારથી ખદબદે છે. એ બધા સરકારી ખાતાં કહેવાય. એવા સરકારી ખાતાં કે જે હંમેશા ખાય. એમને અનાજ નથી ભાવતું, પણ પૈસા ભાવે છે ! કરોડો રૂપિયા ખાઈ જાય છે. બોલો ! કેવી રીતે પર પચાવતા હશે આ કાગળ અને ધાતુની આઈટમ !

મિત્રો, ભ્રષ્ટાચાર એ તો દેશમાં ઉધઈ સમાન છે. પ્રિયકાન્ત મણિયારે પોતાની પંક્તિઓમાં કહ્યું છે,
એ લોકો પહેલાં અનાજના કોથળા સંઘરી રાખે છે,
ને માણસ જ્યારે સડી જાય ત્યારે કિલો કિલો વહેંચે છે.
એ લોકો, લોકો છે જ નહીં, એ તો છે રૂપિયાની નોટો ખાઈને ઉછળતી ઉધઈ,
મારે કવિ નથી થાવું, પણ ઉધઈ મારનારી જંતુનાશક દવા થાઉં તોય ઘણું..
મિત્રો ભ્રષ્ટાચાર આ દેશને ક્યાં લઈ જશે એની તો ખબર નથી, હું  ભ્રષ્ટાચારની વ્યાખ્યા પણ કરતો નથી. ભ્રષ્ટાચારની પ્રક્રિયા કેવી હોય છે તે પણ બતાવવા માગતો નથી. હું તો એની ભયાનકતા બતાવવા માંગુ છું.

જે કામ કરવા માટે સરકાર તરફથી કે સંસ્થા તરફથી જેને પગાર આપવામાં આવે છે, એ જ કામ કરવા માટે પૈસાની માગણી ! કદાચ પૈસાની માગણી નહીં તો ધક્કાની લ્હાણી ! ધક્કા ખાઓ,  કંટાળીને પૈસા આપો અને ઘરે જઈને નિશ્ચિંત બની સુઈ જાઓ. તમારું કામ થઈ જશે ! શું આ બ્રષ્ટાચાર છે ? ના, આતો વહેવાર કહેવાય ! કાગળ ઉડી ન જાય એટલે વજન મૂક્યું કહેવાય !

હા, ભ્રષ્ટાચાર આપણી રગેરગમાં એવો વ્યાપી ગયો છે, કે જાણે એ તો વહેવાર બની ગયો છે. એનું એક ઉદાહરણ આપું. આપણી એક સામાન્ય ખાલી જગ્યાની નોકરી. ફિક્સ પગાર દસ-બાર હજાર રૂપિયા... આપણા કોઈ સગા કે મિત્રને આ નોકરી મળે અને એના પિતાશ્રીને કોઈ વ્યક્તિ દ્વારા પૂછવામાં આવે કે કરસનભાઈ, તમારા દીકરાને તો સરકારી ખાલી જગ્યાની નોકરી મળી ગઈ.. બહુ સરસ કહેવાય.. હવે તો સરકારનો જમાઈ થઈ ગયો... કેટલો પગાર છે? કરસનભાઈ નો જવાબ સાંભળો... પગાર તો આમ તો પાંચ વર્ષ સુધી દસ-બાર હજાર રૂપિયા જ છે, પણ થોડુંક સાઈડમાં વીસ-પચ્ચીસ હજાર રૂપિયા મળી જાય છે, એટલે ઘર ચાલે...
જાણે કે સાઈડ માં મળતી આવક એ સરકારનો કાયદેસરનો પગાર હોય... કેટલું લોહીમાં વણાઈ ગયું છે? અને કેટલી સહજતાથી લોકો આવી વાત કરે છે? આ ને કેવી રીતે દૂર કરી શકીશું? આજે કદાચ ગાંધી કે સરદાર જીવતા હોત, તો એ જરૂર આત્મહત્યા કરી લેત.  શું આ માટે આપણા શહીદોએ પોતાનું લોહી રેડ્યું હતું? શું આ માટે દેશનેતાઓએ પોતાની જિંદગી ખર્ચી નાખી હતી?

અરે ! આપણે આપણા દેશના નાગરિકને લૂંટીએ, એ તો આપણા ભાઈને લૂંટે બરાબર છે. દેશને ભ્રષ્ટાચારથી લૂંટવો એ તો ભારતમાતાના ચીરફાડ્યા બરાબર  છે.

શું આપણે આ માટે જાગૃત થવાની જરૂર નથી ? ક્યાં સુધી ઊંઘતા રહીશું ? અને આપણા નાના નાના કામો માટે પૈસા આપતા રહીશું ? ક્યાં સુધી ?
ભ્રષ્ટાચાર સામે લડવા માટે આપણે અન્ના હજારે બનવું પડશે. નહીં તો એક અન્ના હજારે આખા દેશમાં ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરી શકશે ? અને કદાચ ! કોઈ વૈજ્ઞાનિક એવો પાકે કે જે ભ્રષ્ટાચાર વિરોધી રસી શોધે અને આપણા દેશના નાગરિકોને પીવડાવે.
બાકી તો,
ગમે તે બાજુથી અડશો તોય ચીરાશો,
બન્યો છે આ બેધારા ચાકાનો માણસ..
નસે નસે  ભ્રષ્ટાચાર ભર્યો છે,
ગમે ત્યારે ફૂટશે આ ભ્રષ્ટાચાર માણસ...
....થેન્ક્યુ.....

No comments:

Post a Comment